ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 11.40 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. પરિવાર સાથે બહારગામ ગયેલા વેપારીને સોસાયટીના પ્રમુખ અને મિત્રએ ફોન કરી ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. આ મામલે છાણી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર બહારગામ ગયો ત્યારે તસ્કરોએ ઘરમાં બનાવ્યો નિશાન
રણોલી ચોકડી ખાતે કિરણ ઓટો ગેરેજ ચલાવતા વેપારી સુનિલકુમાર પટેલ તારીખ 8 ઓગસ્ટના રોજ બપોરે તેમની માતા, પત્ની અને બે બાળકો સાથે વેગનઆર કારમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ગુરુજીના દર્શન કરવા ગયા હતા. પરિવાર રાત્રે સાયલા ખાતે રોકાયો હતો. આ દરમિયાન તારીખ 9 ઓગસ્ટની વહેલી સવારે વેપારીના મિત્રએ ફોન કરીને ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સોસાયટીના પ્રમુખે પણ ઘરનો સામાન વેરવિખેર હોવાનું જણાવી ચોરીની આશંકા વ્યક્ત કરી હતી. વેપારી પરિવાર સાથે પરત ફર્યો ત્યારે ફ્લેટના મુખ્ય લોખંડના દરવાજાનો નકુચો, ચેનલ લોક તેમજ લાકડાના દરવાજાના સેન્ટર લોક તોડી નાખવામાં આવ્યા હોવાનું જણાયું હતું. સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 11.40 લાખની મત્તા ચોરાઈ
ઘરમાં તપાસ કરતાં બંને બેડરૂમમાં આવેલી લોખંડની તિજોરીઓના લોક પણ તોડી નાખવામાં આવ્યા હતા અને સામાન બેડ તથા જમીન પર વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાંથી સોનાના સેટ, ચૂડો, કડીઓ, વીંટીઓ, બુટ્ટી, રૂદ્રાક્ષની માળા, ચેન સહિત આશરે 126 ગ્રામ સોનું, તેમજ આશરે 70 ગ્રામ ચાંદીના દાગીના ચોરાયા હતા. આ ઉપરાંત જમીનની ખેતીની આવકના રાખેલા રૂ. 2.50 લાખ રોકડા પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરાયેલી મત્તામાં સોનાના દાગીનાની કિંમત આશરે 8.82 લાખ, ચાંદીના દાગીનાની કિંમત આશરે 8400 અને રોકડ 2.50 લાખ મળી કુલ આશરે 11.40 લાખની મત્તાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી
આ બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફ્લેટ તથા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસી તસ્કરોનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

